આપણે જેવું વિચારીશું એવા જ બનીશું

Posted: February 23, 2012 in Other

આપણે જેવુંવિચારીશુંએવાબનીશું

 

ઘણી વાર માણસ લમણે હાથ દઈ પોતાના ભાગ્યને રડતો બેસે છે, પરંતુ ભાગ્યને રડવાથી કંઈ ફાયદો? રખે કોઈ એમ સમજે કે જીવનમાં ભાગ્યનું મહત્ત્વ નથી, પરંતુ અંત:કરણના સમજણપૂર્વકના પ્રામાણિક પ્રયત્નો કર્યા પછી માણસ ભલેને પોતાના ભાગ્યનો વિચાર કરે!

 

તેથી આપણા ઉપનિષદોએ એક સનાતન સત્ય સમજાવ્યું છે કે ‘માણસ જેવું વિચારે છે એવો એ બને છે. જો તે રડતું જ વિચારશે તો જીવનભર રડતો જ રહેશે.’ ભગવાન બુદ્ધ કન્ફયુસિયશ, એરિસ્ટોટલ, સોક્રેટિસ. મહમ્મદ પયગંબર-એ બધાનું પણ લગભગ આ જ પ્રકારનું મંતવ્ય છે. બાઈબલમાં પણ એવું લખાણ છે કે ‘માણસ પોતાના હૃદયમાં જે વિચારે છે તેવો તે હોય છે’ આપણે એ ભૂલી જઈએ છીએ કે માનવીનું ચારિત્ર્ય, એના અંતરના વિચારોનું પ્રતિબિંબ છે.

 

જેમ્સ એલને માનવીના મનને બગીચાનું રૂપક આપી સમજાવ્યું છે કે માનવીનું મન એક બગીચો છે. તેમાં તમે સુંદર બીજની રોપણી કરશો તો સુંદર મજાનાં ફૂલોની મહેકથી બગીચો મઘમઘી ઊઠશે, નહીં તો ઢગલાબંધ નકામી વેલ અને ઝાંખરાં ઊગશે. જો તે ખરાબ નકામા, અશુદ્ધ વિચારોનું નિંદામણ કરે અને સારા સ્વચ્છ અને પવિત્ર વિચારોની વાવણી કરશે તો મોડા વહેલા પણ માનવીને ખાતરી થશે કે તેના ચારિત્ર્ય ઘડતરમાં તેણે કરેલા શુદ્ધ ઉમદા વિચારોનું કેટલું મોટું પ્રદાન છે!

 

આપણે એ રખે ભૂલીએ કે આપણા અંતરમનની વાવણીના જવાબદાર આપણે પોતે જ છીએ. જેવું વાવીશું તેવું ફળ મળશે. સદ્વિચારો સારાં ફળ આપશે- દુષ્ટ વિચારો માઠાં ફળ આપશે. તેજસ્વી વિચારોની વાવણી જીવનને સિંહ જેવું બનાવશે અને દુર્બળ વિચારોનું પરિણામ જીવનને શિયાળ જેવું બનાવશે.

Leave a comment